મુશ્કેલીઓને તકમાં ફેરવવાની આવડત ધરાવતા લોકો વિકટ સમયમાં તૂટી જવાને બદલે વધુ તાકાતથી પોતાને રી-લૉન્ચ કરતા હોય છે.

‘તું મારા વખાણ કરે છે કે મજાક?!’ આવો મૂંઝવણભર્યો પ્રશ્ન પૂછવાની નોબત દરેકના જીવનમાં ક્યારેકને ક્યારેક તો આવીજ હશે. અમુક તો શબ્દો જ એવા છે કે જે આપણા માટે વપરાય ત્યારે મનમાં આવો સંદેહ ઉભો થવો સ્વાભાવિક હોય છે, દાખલા તરીકે કોઈ તમને ‘લુચ્ચો’ કહે તો તમે એને વખાણ ગણો કે નિંદા?! આડકતરી રીતે એણે તમને બુદ્ધિશાળી કહ્યા કારણ કે લુચ્ચાઈ કરવા બુદ્ધિ જોઈએ, મૂરખાઓ લુચ્ચાઈ ના કરી શકે. જેટલી વ્યક્તિની બુદ્ધિ વધારે તેટલી તેની ચાલાકી કે લુચ્ચાઈ કરવાની ક્ષમતા વધારે, એ દ્રષ્ટિએ તમારા વખાણ થયા! હા, બુદ્ધિશાળી વ્યક્તિ લુચ્ચાઈ કરશે કે નહીં અથવા કયા સંજોગોમાં, કોની સાથે કરશે તે બીજી ઘણી બાબતો પર આધારિત હોય છે. અને, નિંદા એ રીતે કે એને તમારા ઈરાદાઓ પર સંદેહ છે! જયારે વ્યક્તિને તમારા ઈરાદાઓ કે નિષ્ઠા પ્રત્યે સંદેહ હોય ત્યારે એ તમને આસાનીથી ‘લુચ્ચા’ હોવાનું બિરુદ આપી શકે છે, સ્વાભાવિક છે એ તમારા વખાણ નથી પરંતુ નિંદા છે. આજના સમયમાં ચલણમાં મૂકી શકાય એવો, આવો જ એક બીજો શબ્દ છે ‘તકસાધુ’! તકસાધુ એટલે મળેલી તકનો લાભ ઉઠાવનાર અથવા ઓપર્ચ્યુનિસ્ટ. કોઈ તમને તકસાધુ કહે તો એને તમે વખાણ ગણશો કે નિંદા?! તમે કહેશો કે કયા સંદર્ભમાં કહ્યું છે તેની ઉપર એનો આધાર છે. કોવીડની મહામારીને તક ગણીને માસ્ક, સેનિટાઇઝર, વિવિધ વેલનેસ પ્રોડક્ટ્સ કે ઇમ્યુનો-બુસ્ટર્સ બનાવાના ધંધામાં ઝંપલાવી દેવું એ હકારાત્મક દિશામાં તક સાધવાની આવડત છે જે પ્રશંશાને પાત્ર છે, અલબત્ત કેટલાક ઈર્ષ્યાવશ આવી તક સાધનારાની નિંદા કરવાના- ‘દ્રાક્ષ ખાટી છે’! બીજી બાજુ કોવીડને આગળ ધરીને યુટીલીટી બિલ્સ, ટેક્સ, મેડિકલ કે અન્ય આવશ્યક સેવાઓમાં ડિસ્કાઉન્ટનો હક્કની હદે આગ્રહ રાખવો એ નિંદાત્મક દિશામાં તક સાધવાની વાત છે. મોબાઈલનો સ્ટોર્સ ધરાવતા મારા એક પેશન્ટે મને હમણાં ગઈકાલે જ તેના ધંધા અંગેની વાત કરતા કહ્યું કે સાહેબ લોકો આ સમયમાં કેવી તક સાધતા હોય છે તેની વાત કરું. થોડા દિવસ પહેલા એક ઘરાકે મને કહ્યું કે તમે હજી ચાઈનીઝ બ્રાન્ડના મોબાઈલ રાખો છો, તમને સ્વદેશી વસ્તુઓનું ગૌરવ નથી લાગતું. મેં કહ્યું કે નવો માલ ના લઈએ પણ જે ભર્યો હોય એને તો વેચવો પડે ને?! એટલે તરત એણે મને પૂછ્યું કે હાલ વેચાય છે ખરાં?! મેં કહ્યું ‘ખાસ નહીં’ તો મને એ દેશપ્રેમી પૂછે કે કેટલું ડિસ્કાઉન્ટ આપશો? બે લઇ લઉં, બાકી આમ પણ તમારે તો પડી જ રહેવાના છે ને?!! – આ નિંદાત્મક તક સાધી કહેવાય! 

તક સાધવાની હકારાત્મક ફાવટ બધાને નથી હોતી, આ એ વ્યક્તિઓ છે જે મુશ્કેલીઓને અવસરમાં ફેરવવાની આવડત ધરાવતા હોય છે. મુશ્કેલીઓ કે ઉપાધિઓમાં હિંમત ગુમાવવાને બદલે તેને એક તકમાં તબદીલ કરવાની ક્ષમતા જે વ્યક્તિઓમાં હોય છે તે આવી પડેલી આપદામાં તૂટી જવાને બદલે વધુ તાકાતથી પોતાને રી-લૉન્ચ કરતા હોય છે. આ વ્યક્તિઓની સાઈકોલોજિકલ ઇમ્યુનીટી મજબૂત હોય છે. તમે આવી પડેલી વિકટ પરિસ્થિતિમાંથી આસાનીથી ‘બાઉન્સ બૅક’ કરવાની ક્ષમતા વિકસાવવા માંગતા હોવ તો હકારાત્મક કે સર્જનાત્મક દિશામાં તક સાધતા શીખવું પડશે. લોકડાઉનમાં અનેક વ્યક્તિઓ પોતાનું વધુ ઉમદા વર્ઝન ઉભું કરી શક્યા, કો’ક નવી સ્કિલ શીખ્યા, કો’ક નવો શોખ કેળવી શક્યા, કો’કે પોતાનામાં નવી કળા વિકસાવી – સરવાળે આ બધા એ આવી પડેલી વિપદાને તકમાં ફેરવી દીધી. સ્વાભાવિક રીતે જ આ વ્યક્તિઓની માનસિક રોગપ્રતિકારકતા મજબૂત હશે અને તેથી જે લોકડાઉનને કારણે અનેક લોકો હતાશ થયા કે ડિપ્રેશનમાં સરી પડ્યા તે જ પરિસ્થિતિને તેમણે અવસરમાં ફેરવી દીધી! આખી વાતનો સાર એ કે સારી સાયકોલોજીકલ ઇમ્યુનીટી કેળવવા પરિસ્થિતિને કોસતા રહેવા કરતા તેમાંથી તક ઉભી કરવાની કળા વિકસાવવી જોઈએ.

તમારી સાયકોલોજીકલ ઇમ્યુનિટી મજબૂત કરતી છેલ્લી મહત્વની બાબત – તમારા મૂળ સાથેનું તમારું જોડાણ. વાત આધ્યાત્મિક છે, સાથે એ સ્પષ્ટતા પણ કરી દઉં કે આધ્યાત્મિકતા અને ધાર્મિકતા બંને અલગ બાબત છે. ધાર્મિકતા ધર્મ વિષયક છે, જયારે આધ્યાત્મિકતા આત્મા વિષયક છે, તમારા માંહ્યલાની વાત છે, સ્વ અને સૃષ્ટિના જોડાણનું આત્મજ્ઞાન છે. જે વ્યક્તિઓ આત્મા, પ્રકૃતિ, પંચતત્વો અને સમગ્ર જીવસૃષ્ટિ સાથે જોડાણ અનુભવતા હોય તે વ્યક્તિઓની સાયકોલોજીકલ ઇમ્યુનીટી મજબૂત હોય છે. આ વ્યક્તિઓ વિકટ પરિસ્થિતિઓમાં પોતાનું સંતુલન ટકાવી રાખવા સક્ષમ હોય છે. મારા એક ફિઝિશિયન મિત્ર કોરોનાથી સંક્રમિત દર્દીને સમજાવે કે ગભરાવાની જરૂર નથી રિકવરી રેટ લગભગ એંશી ટકા સુધીનો છે અને આમ પણ તમારો વાઇરલ લોડ ઓછો છે એટલે જલદી સારું થઇ જશે. દર્દી આ વાતથી ખુશ થવાને બદલે પૂછે કે એ તો બરાબર પણ હું આઇસોલેશનમાં કેવી રીતે રહીશ? કોરોનાથી સંક્રમિત દર્દીઓને સતાવતા વિવિધ પ્રકારના ડરમાં એક સૌથી સામાન્ય ડર છે જો હોસ્પિટલમાં દાખલ થવું પડશે તો હું એકલો કેવી રીતે રહીશ?! પોતાની જાત સાથે એકલા રહેવાનો ડર!! જે વ્યક્તિઓ પોતાના મૂળ સાથે, પોતાની જાત સાથે તંદુરસ્ત અને પાક્કું જોડાણ ધરાવતા હોય છે તે વ્યક્તિઓ માટે કપરા સમય દરમ્યાન આંતરિક હિંમત ટકાવવી સહજ હોય છે અને તે કોઈપણ બીમારીનો સામનો મજબૂતાઈથી કરી શકતા હોય છે. આ વાત માત્ર કોવીડ પૂરતી નથી, કોઈપણ બીમારીને લાગુ પડે છે કારણ કે બધા જ પ્રકારના આધાર પછી પણ વ્યક્તિના મનને તો બીમારીની સામે લડવું જ પડતું હોય છે. એમાં પણ લાંબાગાળાની અને જેની સારવાર કારગત ના નીવડતી હોય તેવી બીમારીઓમાં તો મનોબળથી જ લડવું પડતું હોય છે. આ સંજોગોમાં તમારો આધ્યાત્મિક અભિગમ કામ લાગે છે.

પૂર્ણવિરામ:

જરૂરી નથી કે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તમે હંમેશા બીમારીઓને હરાવી જ શકો, ક્યારેક રોગ કે સૂક્ષ્મ જીવો (વાઇરસ, બેક્ટેરિયા,ફંગસ વગેરે) પણ તમારી પ્રતિકારકતાને ટપી જાય તેવા મજબૂત હોઈ શકે છે. સામાન્ય ગણાય એવા શત્રુઓએ મહારથીઓને પછાડ્યા હોય એવા દાખલાઓથી ઇતિહાસ એમ જ કઈં થોડો ભરેલો પડ્યો છે?!

2 Comments Add yours

  1. Miten P Mehta says:

    આધ્યામિકતા સાથે જોડાણ ધરાવનાર વ્યક્તિમાં સ્વિકારભાવ વધારે હોય છે.. આપની વાત સાચી છે

Leave a comment