અંદરખાને લાગણીઓના મુદ્દે તીવ્ર અસલામતી અને ડર અનુભવતી વ્યક્તિઓ સંબંધમાં જાણે-અજાણ્યે તમને રિબાવે છે!

spread a thought Tari ane mari vaat

‘જીવન એક યાત્રા છે, આપણે બધા યાત્રાળુ છીએ. હસતા રમતા આપણે યાત્રા પુરી કરી અને પરમધામમાં પહોંચી જવાનું છે’ જીવનનું સત્ય જાણે એક વાક્યમાં સમજાવી દેવાતું હોય તેવો આ મેસેજ વાંચતા  મારું મન વિચારે ચઢ્યું – જીવન એક યાત્રા સાચી, આપણે બધા યાત્રાળુ; ચાલો એ’ય સાચું, પરમધામ પણ સાચું પરંતુ હસતા-રમતા કેવી રીતે પહોંચવું? મોટાભાગના તો ભાગતા, દોડતા, લંગડાતા, હાંફતા, ઝગડતા, અફસોસ કરતાં, ફરિયાદો કરતાં, સંઘર્ષ કરતાં, એકબીજાના ટાંટિયા ખેંચતા અને સાથેસાથે પ્રેમ-સમર્પણ-ઉદારતા-ક્ષમા-માનવતાની વાતો કરતાં કરતાં જીવનની મજલ કાપતા જણાય છે !! કોઈપણ યાત્રા મઝાની ક્યારે બને ?! આ ‘મઝા’ ઘણાં પરિબળો પર આધારિત હોઈ શકે છે, અંગત મંતવ્યો અને માન્યતાઓની આ વાત છે. મારી તો સ્પષ્ટ માન્યતા છે કે યાત્રાની સાચી મઝાનો આધાર તમારા સહયાત્રીઓ કોણ છે તેની ઉપર છે. એક કકળાટીયો, ઉત્પાતીયો, વાંધાળો, રઘવાટિયો કે જીવખઉં તમારી આખેઆખી યાત્રા બગાડવા પુરતો હોય છે. જો સાથ-સંગાથ સારો હોય તો બાવળિયા હેઠળ પણ મઝા આવે અને જો એકબીજાને અનુકુળ ના હોય તો યુરોપમાં’ય લોહી ઉકાળા થાય !

‘પણ, બોસ આપણે તો એકલા જ યાત્રા કરતાં હોઈએ છીએ. સાથ-સંગાથની બબાલ જ નહી’ કેટલાક અંતર્મુખી અને નિજાનંદમાં મસ્ત યાત્રીઓ દલીલ કરશે પરંતુ યાત્રીગણ, તમે એકલા યાત્રા કરો અને બાજુની સીટમાં સતત રોતું છોકરું અને એને છાનું કેવી રીતે રાખવું એ વિષયમાં સંપૂર્ણ ‘ઢ’ એવી માતા હોય તો ?! સાથ-સંગાથની બબાલ વગર પણ મગજ કાણું થઇ જાય ને?!

જરૂરી નથી કે હંમેશા બધો દોષ સામે ખાટલે જ ઓઢાઢી શકાય. કેટલીકવાર સહયાત્રીઓ ખુબ સારા મળે અને તમે પોતે રાશી હોવ એમ પણ બને ! અને ત્યારે પેલા થાકીને મૂંગા થઇ જાય કે પોતાની યાત્રા સુધારવા હળવેથી સાથ છોડી જાય તેમ પણ બને !!

હવે મહત્વની વાત આવે છે. આપણી યાત્રાઓમાં તો સહયાત્રીઓ પસંદ કરવાની તક આપણને મળતી હોય છે. મનમેળ હોય તેવા મિત્રોને સાથે લઈને આપણે રખડીએ છીએ અને યાત્રાની મઝા લઈએ છીએ. મઝા ના આવતા સહયાત્રીઓ બદલવાની કંઇક અંશે આઝાદી પણ ભોગવીએ છીએ. પરંતુ, જો જીવનને જ એક યાત્રા ગણીએ તો મોટાભાગના સહપ્રવાસીઓ તો આપણને એમ જ ભટકાઈ જાય છે અને તેમની સાથે જ ગમે કે ના ગમે જીવન વ્યતીત કરવું પડતું હોય છે. જીવન દરમ્યાન સંબંધોમાં સંઘર્ષ કરતાં દરેકને પોતાના સહયાત્રીઓ સાથે લાગણીઓના મુદ્દે પ્રશ્નો હોય છે, એ યાત્રી પછી જીવનસાથી હોય, કુટુંબી હોય, સંબંધી હોય, મિત્ર હોય, સહકર્મચારી હોય, બોસ હોય, પાર્ટનર હોય વગેરે. આ બધાજ ઈચ્છા-અનિચ્છાએ આપણા સહપ્રવાસીઓ છે, આપણા સમય-શક્તિ-લાગણીઓના સહભાગીઓ છે. આપણા જીવનની મઝાઓ ઘણાં અંશે આ બધા ઉપર આધારિત છે. એમાંના કેટલાય આપણી લાગણીઓને નીચોવી નાખનારા અને થકવી નાખનારા હોય છે. લાગણીઓના મુદ્દે લોહી ચુસનારી વાગોળ જેવા હોય છે.ઈચ્છવા છતાં’ય છોડી ના શકાય તેવી આ વ્યક્તિઓ છે. આવી વ્યક્તિઓ પોતે અંદરખાને લાગણીઓના મુદ્દે તીવ્ર અસલામતી અને ડર અનુભવતી હોય છે. ખુબ આસાનીથી તે લાગણીઓના સંબંધ વિકસાવે છે અને તમારી લાગણીઓની શક્તિ ઉપર પોતાને સલામત અનુભવે છે. તેમને સતત પ્રેમ, કાળજી અને સ્વીકૃતિની આપો એટલી ઓછી પડે એ સ્તરની જરૂરીયાત રહે છે. તેમના ઉપરછલ્લા આત્મવિશ્વાસની નીચે આત્મવિશ્વાસનો અભાવ, ભય, શંકા, ગીલ્ટ, અપૂર્ણતા, પરાવલંબન વગેરે ઠાંસી ઠાંસીને ભરેલું હોય છે. જીવનના પ્રવાસમાં આવી વ્યક્તિઓનો સાથ આપણને રિબાવે છે. એમની સાથે જીવવાનું આવે તો વ્યક્તિ લાગણીઓથી નીચોવાઈ જાય, શરીરથી થાકી જાય, આક્રોશ અનુભવતી રહે, હતાશામાં રહે અને ભયથી જીવે. જયારે પણ એમનો સાથ કરવાનો થાય, સામનો કરવાનો થાય ત્યારે ત્યારે અંતર વલોવાય.

લાગણીઓના મુદ્દે રિબાવે તેવી આ વ્યક્તિઓમાં ખાસ કરીને સતત પોતાના મહત્વમાં જ રાચતી અને સતત અન્યનું એટેન્શન ઈચ્છતી સ્વકેન્દ્રી વ્યક્તિઓ, કોઈ વસ્તુ મેળવવા ધમપછાડા કરતાં હોય તે જ રીતે તમને મેળવવા પણ અનહદ ધમાલ કરતાં વસ્તુ અને વ્યક્તિ વચ્ચે ભેદ ના સમજતા વ્યક્તિઓ, ગૂંગળામણ થઇ જાય એટલી હદે મચીને તમારી સંભાળ લેતા વ્યક્તિઓ, પોતાની જાતને હંમેશા બિચારી કે શોષિત સમજતી વ્યક્તિઓ, સતત તમારા અવગુણો કે નબળાઈઓ જોતી વ્યક્તિઓ, લાગણીઓના મુદ્દે હંમેશા છેડા ઉપર જ રહેતી વ્યક્તિઓ (વરસે તો અતિ-વરસે અને બગડે તો અતિ-બગડે!), નાની નાની વાતોને કલ્પી ના શકાય તેવું રૂપ આપવાની વૃત્તિ ધરાવતી નાટકબાજ વ્યક્તિઓ વગેરેનો સમાવેશ કરી શકાય. આ વ્યક્તિઓ સાથેના સંબંધો દુઃખી કરનારા હોય કે ના હોય પણ લાગણીઓથી નીચોવીને આપણને થકવી નાખનારા તો જરૂર હોય છે. એમને સહન કરવાને બદલે મેનેજ કરતાં શીખવું પડે. અને જો તમે પોતે આવું વ્યક્તિત્વ ધરાવતા હોવ તો તમારે તમારી જાતને મેનેજ કરીને આ નબળાઈઓથી ઉપર ઉઠવું પડે, અલબત્ત સ્વીકારી શકો તો !!

પૂર્ણવિરામ:

લાગણીઓના મુદ્દે તમને નીચોવી નાખે એવાં વ્યક્તિઓ સાથેના સંબંધો લાગણીઓથી નહી પણ બુદ્ધિથી જાળવવા પડે !

Follow me on twitter @hansalbhachech

happyminds_logo1

 

 

4 Comments Add yours

  1. Nilesh Bhatt says:

    લાગણીઓના મુદ્દે તમને નીચોવી નાખે એવાં વ્યક્તિઓ સાથેના સંબંધો લાગણીઓથી નહી પણ બુદ્ધિથી જાળવવા પડે ! ” I Like This Sentence, this is the solution of the above article” You are great sir,

  2. Rashmi Purohit says:

    Sir, last ma purnaviram ma kahyu em aava loko sathe sambhandh laaganio thi nai buddhi thi jalvva pade.. eno su meaning thay?
    Professional sambhandho buddhi thi jaalvi sakaay.. personal sambandh ma koi evi vyakti hoi to e personal sambandh kevi rite buddhi thi jaalvi sakaay? Jeni mate pote pan emotionally attached feel krta hoie emni mate e kevi rite sakay bane?

    1. ek lambo lekh lakhaay em chhe – kyarek ahin lakhine post karish… tyan sudhi blog ane mari gujarat samacharma column vanchta rahejo…

  3. Yash Mehta says:

    I hope that you write an article about how to deal with such people very soon…thank you very much for sharing your understanding….

Leave a reply to Yash Mehta Cancel reply